મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં…

જીંદગીએ કરી નરી બેવફાઇ,

હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !

નફરત ને ધિક્કારને

પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !

 

કંઇક શબ્‍દોના ખોટા અર્થઘટને

જીવનના સંબંધો બગાડ્યા,

હે મૃત્‍યુ, તું તો સુધારી દે,

આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !

 

પરીક્ષાની આગલી રાત્રિએ જ

ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,

તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં

સ્‍નેહના પગરણ માંડ્યા !

 

જીંદગી ફરી મળે તો,

પ્‍યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,

ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,

આપ ઘડી બે-ઘડી, હે મૃત્‍યુ !

 

હે મૃત્‍યુ, થોડું તો થોભી જા,

તું તો ના કર બેવફાઇ,

તું ક્યા જીંદગી છે ? હે મૃત્‍યુ,

તને વ્‍હાલ કરી લઉં,

નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં !!

- પી. યુ. ઠક્કર

ઇશ્વર પ્રવેશે છે. . .

સ્નેહના આ સાગરમાં,

ઇશ્વર પ્રત્‍યેની શ્રધ્‍ધાના,

અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.

શ્રધ્‍ધાના અમારાં દીવડાઓમાંથી

નીકળતા કિરણોમાં જોયું તો,

અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,

આયાસ વિના જ તરી રહ્યા હતા,

એક આનંદ સાગરમાં…

આનંદ સાગરના આ નવા અનુભવથી

રોમાંચિત થયું રોમે-રોમ,

ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,

વૃક્ષો, રસ્‍તાઓ, ગગન, સાગર અને સર્વે

મંદ મંદ મુસ્‍કરાતા લાગ્‍યા,

એ સઘળામાંથી પ્રાપ્‍ત શાંતિના ઇશ્વરમાં,

અભિન્‍ન લાગ્‍યા,

દીપક, કિરણો, શ્રધ્‍ધા, સ્‍નેહ, સાગર અને સઘળા.

કદાચ આ એ જ દ્વાર છે,

જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે

- પી. યુ. ઠક્કર