ભજન – શા માટે

હતાશા એટલે શું?

નિરાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, સાંભળનાર કોઇ મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, મનમાં એવી ભીતિ રહ્યા કરતી હોય કે, પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે તો તેનો વિરોધ થશે એવી સતત મૂંઝવણ વ્યક્તિ અનુભવ્યા કરે. પોતાની વાત સાથે બીજા અસંમત થશે તો? એવી આંતરીક લાગણીથી પીડાયા કરે અને છેવટે હતાશા અનુભવે. પોતાની લાગણી બીજાને જણાવવાની તક ના મળે ત્‍યારે માણસ અંદરથી ખલાસ થઇ જાય અને હતાશ બની જાય.
જ્યારે પોતાની વાતને કોઇ મહત્‍વ આપવામાં ના આવે, અથવા તેની કોઇ નોંધ લેવામાં ના આવે તો, સ્વાભાવિકપણે નિરાશા વ્‍યાપે અને છેવટે તે વ્યક્તિનો આત્‍મવિશ્વાસ ચાલ્‍યો જાય. ધીમે ધીમે માણસ પોતે જ પોતાના વિષે એવું વિચારતો થઇ જાય કે, પોતે જરાય ઉપયોગી નથી અને છેવટે હતાશ થઇ જાય. એવી લાગણી થઇ આવે કે, આ દુનિયા સાથે મારે કોઇ રીતે તાલ-મેલ જામતો જ નથી. આખી દુનિયા નકામી છે, સ્વાર્થી છે, વગેરે ખ્યાલો મનમાં ઉભરી આવે અને માનવી ફ્રસ્ટ્રેટ થઇ જાય. એકંદરે, પોતે કોઇ રીતે ઉપયોગી નથી અને તેથી વિરૂધ્ધ આ દુનિયા જ સાવ નકામી છે; એવા બે પ્રકારના એકબીજાથી વિરૂધ્‍ધ વિચારોમાં રાચ્‍યા કરે. અને તેવા વિચારો કરીને ઉંડી નિરાશામાં ગરકાવ થઇ જાય. દુખી થઇને જીવ્યા કરે. આવી વ્યક્તિઓ અંતર્મુખી થઇ જઇને, પોતાના જેવા બીજા દુખી લોકો જોવા મળે છે કે કેમ; તે શોધ્‍યા કરે. માનવી આવી રીતે ફ્રસ્ટ્રેટ થઇ જાય.
ખાસ કરીને નોકરીયાત વર્ગ રીટાયરમેન્‍ટને કારણે, તેમના અગાઉના રોજ-બરોજના રૂટીનથી અલગ થઇ જવાને કારણે રૂટીન લાઇફની તેમની રીધમ ગુમાવી બેસે છે. તેને પરીણામે, અમુક કિસ્સામાં, આ દુનિયામાં તેઓ ભૂલા પડી ગયા હોય એવું અનુભવતા હોય છે. રીટાયરમેન્‍ટ પછી કેટલાક કિસ્સામાં શરૂઆતમાં તો છૂટકારાનો અનુભવ કરીને આનંદીત થતા હોય છે. નિવૃત્તિને કારણે મોટી રકમ હાથમાં આવી હોય એટલે પણ પોતાનું મન ભર્યુ ભર્યુ રહેતું હોય. કુટુંબ અને સમાજ પણ પોતાને પૈસાપત્ર વ્યક્તિની નજરે નજરે જુએ છે; તેવા ખ્યાલથી વ્યક્તિનો થોડો છુપો ગર્વ પણ પોષાતો હોય છે. એટલે ‘ફીલ ગુડ’ ફેક્ટરને કારણે સારૂ લાગતુ હોય. છેવટે જે રીતે ભૌતિક વસ્‍તુઓ કાયમી અને સાચો આનંદ આપી શકતી નથી; એ જ રીતે રીટાયરમેન્‍ટ બેનીફીટના ઢગલો રૂપિ‍યા વધારે દિવસો સુધી આનંદ આપી શકતા નથી. બલકે, નિવૃત્ત વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિ‍યા મેળવવાના સ્વાર્થમાં જ આ દુનિયા પોતાને પ્રેમ કરે છે; એવી અનુભૂતિ થતા વ્યક્તિ વધારે પડતો સાવધાન થઇ જાય છે અને સંબંધોમાં શંકાખોર થઇ જવા પામે છે.
નોકરી ચાલુ હતી ત્યારે જીવનશૈલીની જે રીધમ હતી તે ગુમાવી બેસતા નિરાધાર અવસ્‍થા અને આ દુનિયાના સ્વાર્થીપણાના થતા કડવા અનુભવોથી હતાશાની અવસ્‍થામાં આવી વ્યક્તિ પોતાના જેવી બીજી વ્‍યક્તિઓને શોધ્‍યા કરે છે. તે શોધ્‍યા કરે છે કે, એવા બીજા કોઇ પણ છે કે જેમના પણ મન આ જગતની કઠોરતાથી ખિન્ન થઇ ગયેલા હોય. નિરાશામાં પણ ક્યાંક દૂર દૂર એવી આશા હોય છે કે, જેમણે આ જગતની કઠોરતા અને અ-પ્રેમ જોયા હોય તેવાઓને મળવું. અને એ રીતે પોતાની એકલતાને દૂર કરવા તેનું વૃંદ ક્યાંક હોય તો તેને શોધવા આવી વ્યક્તિ પ્રયત્‍નશીલ રહેતી હોય છે. તેમનો આશય એટલો જ હોય કે, જેથી પોતાના વિચારોને ક્યાંક તો સમર્થન મળે. આવી મનોભૂમિકાએ નિવૃત્ત અને વૃધ્ધ વ્યક્તિઓ મંદિર, મહાદેવ કે બગીચામાં જઇને બેસે અને એમના જેવા વયોવૃધ્ધ અને નિવૃત્ત લોકોને ખોળી કાઢે. વડીલવૃંદોમાં એક બીજાની વાતો સાંભળીને પોતાની વાતો બીજાને કહેવાતી હોય છે. એક રીતે જોતાં આમાં કશું ય ખોટુ નથી. આ સારી વાત છે. પોતાની વાત બીજાને કહેતા કહેતા દુનિયાના બીજા દુખી લોકો તેમની પોતાની વાતો આવી વ્યક્તિને અચૂક સંભળાવશે. કહેવા-સાંભળવાની આ રમતમાં ક્યારેક મનોમંથન થતા સાચી પરિસ્થિતી સમજાઇ પણ જાય. આવા મનોમંથનથી માની લીધેલા દુઃખ અને ખરેખર પરિસ્થિતીગત દુઃખોની વાસ્‍તવિકતાનો સાચો ખ્યાલ આવી વ્યક્તિને પોતાને આવે. બીજાના દુઃખોની સરખામણીમાં પોતાના દુઃખોની માત્રા ઘણી ઓછી છે; એવો ખ્યાલ પણ આવે. પોતાના જેવા બીજાઓને શોધીને પોતાના દૃષ્ટિકોણ માટે સમર્થન મેળવવાના આ મનોમંથનમાંથી પ્રવર્તમાન પરિસ્થિતીનો સામનો કરવાની સમજણ પણ કદાચ કેળવાઇ શકે છે.
પરંતુ, કેટલાક લોકો તો ઘરની બહાર જાય જ નહીં અને કોઇની સાથે ભળી પણ ના શકે. નિવૃત્તિ થઇ ગઇ હોય, કોઇ હોદ્દો ના રહ્યો હોય તો પણ નિવૃત્ત થયેલા પૈકી અમુક હોદ્દાથી નીચના હોય તેવા લોકોને વાત કરવાયોગ્‍ય કે મળવાયોગ્ય પણ ના ગણે. પોતાને ચાલવાની તકલીફ છે, અથવા બધા ડોસલાઓ ભેગા થઇને નક્કામી વાતો કરે છે; એવો અભિપ્રાય બાંધીને એકલા અટૂલા જ રહે. ઘરના ખૂણે ભરાઇ રહે. ખાસ કરીને આવી વ્યક્તિઓ એકલા રહેવાને કારણે વધુ નિરાશ થઇને હતાશ થઇ જતા હોય છે. ઇશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન.. વાળા ભજનની સ્પિ‍રીટ જ આવી વ્યક્તિઓ ગુમાવી બેસતી હોય છે. એ ભજનની સ્પીરીટ બહુ સરસ છે. ‘‘…ઇસ ધરતી પર બસને વાલે, સબ હૈ તેરી ગોદકે પાલે, કોઇ નીચ ન કોઇ મહાન, સબકો સન્મતી દે ભગવાન, જાતનસલોકે બટવારે, જૂઠ કહા યે તેરે દ્વારે, તેરે લિયે સબ એક સમાન, સબકો સન્મતિ દે ભગવાન.’’ હતાશ વ્યક્તિઓ આ વિચારધારાથી ખૂબ દૂર જતા રહ્યા હોય છે અને જીંદગીની ગમે તેટલી ભીડમાં ય આવી વ્‍યક્તિઓ એકલાતામાં રાચીને હતાશ થઇ જતા હોય છે.

ભજનથી હતાશા દૂર થાય. વ્યાયામ પણ થાય

આવી વ્યક્તિઓ ભજનમાં જાય તો, ત્યાં ભજનથી સમૂહ મળે. ભજનમાં પોતાના જેવા બીજા મળે. વાત કરનાર અને વાત સાંભળનાર મળે. માણસ એકલો પડી જઇ હતાશ ના થઇ જાય. નિરાશ અને હતાશ પડી ગયેલા માણસો શારીરિક વ્‍યાયામ પણ કરતા હોતા નથી. માત્ર ચિંતા કરતા હોય છે. અથવા આળસ કરીને કશું જ કરતા હોતા નથી. વાંચન પણ કરતા હોતા નથી. શરીરને ‍‍બિલકુલ કસરત પૂરી ના પાડનારા માટે ભજનમાં તાળી પાડવાથી થતી મૂવમેન્‍ટ ખૂબ જરૂરી છે. ભજનમાં તાલ સાથે તાળી પાડવાથી શરીરની મૂવમેન્‍ટ થાય. હથેળીમાં આવેલા પોઈન્‍ટ દબાતા એક્યુપ્રેશરનો લાભ મળે.
બહુ ઓછા લોકો હેલ્‍થ કોન્‍સીયસ હોય છે. પણ ગૃહિણીઓ તો મોટાભાગે હેલ્‍થ કોન્‍સીયસ હોતી નથી. ગૃહિણીઓને કુટુંબની સેવા કરવામાંથી સમય મળતો હોતો નથી એટલે ભણેલી-ગણેલી બેનો પણ વ્‍યાયામની કિંમત સમજતી હોવા છતાં, કસરત કરી શકતી હોતી નથી. તેમના આરોગ્ય પ્રત્‍યે જરાય જાગૃત હોતી નથી અને વધારે સારૂ આરોગ્‍ય રાખવા માટે જરાય પ્રયત્‍નશીલ નથી હોતી.
ઘણાંને અનુભવ હશે કે, શરીરે અ-સુખ હોય, થોડું થોડું માથુ દુખતુ હોય, માત્ર પડ્યા રહેવાનું મન થતું હોય, પણ કોઇકની સાથે શરમના માર્યા ભજનમાં જવું પડ્યું હોય તો, ભજનમાં ગયા પછી અનાયાસે જ શરીરનું અ-સુખ અને માથાનો દુખાવો ભૂલાઇ જવાતા હોય છે. ભજનમાં જઇને બેસવાના ઘણાં બધા ફાયદા છે.
ભજનના તાલ સાથે, તાલી પાડવાથી એક લયબધ્ધતા આવે છે. તાલ પ્રમાણે આપોઆપ શ્વાસોચ્‍છવાસમાં પણ એક લયબધ્‍ધતા સ્‍થપાતી હોય છે. એ રીતે લયબધ્‍ધ શ્વસન થતાં આપોઆપ જ પ્રાણાયામ થાય છે.

વ્યાયામ કેવી રીતે ? તેની બીજી વાત.

ભજનમાં પલાંઠી વાળીને બેસી રહેવાથી, પગમાં વહેતા લોહીમાં રૂકાવટ થાય છે. અને પગમાં લોહીના ભ્રમણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પગમાં નહીં વહેતું લોહી પેટ અને તેના અવયવોમાં પરીભ્રમણ કરવાનું શરૂ કરે છે. જેનાથી પેટના અવયવોને વધુ લોહી મળતાં પાચન શક્તિમાં સુધારો થાય છે. નહીં પચેલો ખોરાક પચવા માંડે છે. નબળી પાચન શક્તિમાં સુધારો થાય છે. ભજનમાં પલાંઠી વાળીને બેસવાથી પેટના દર્દોમાં રાહત થાય છે.
ઘણાંનો અનુભવ છે કે, ભજનમાં બેઠા પછી કેટલીક વખત ઓડકાર આવતા હોય છે અને સારૂ લાગતું હોય છે. માત્ર સામાજિક ફરજ નિભાવવા ખાતર ભજનમાં ગયા હોય અથવા કોઇની સાથે સાથે ભજનમાં પહોંચી ગયા હોય ત્‍યારે મનમાં એમ થતું હોય કે, આ જરા અઘરો સમય પસાર થશે. પણ જ્યારે ભજન પુરૂ થઇ જાય તે પછી ઘણું સારૂ લાગતું હોય છે. શરીરમાં એક પ્રકારની શાતાનો અનુભવ થતો હોય છે. જે પાચન શક્તિને મળેલા લાભને કારણે હોય છે.

ભજનથી મનોભાવ કેવળવાય

ભજનના શબ્‍દો સાથે તદ્રુપ થવાથી, તે પ્રમાણેના મનમાં ભાવ જાગે અને ઇશ્વર માટે તે પ્રમાણેના ભાવ કેળવાય. દા.ત. ભજન ગવાતું હોય,

‘મારા લાલાને કોઇયે ના કપટી કહેશો,

એને કદીયે તો સુખનો ના વારો આવ્‍યો,

એણે જન્‍મ લીધો દેવકી કુખે,

જન્‍મતાની સાથે, એને જેલ મળી,

રાજાઓનો મહારાજ, એ તો વિશ્વ સરતાજ,

તો યે ગાયોનો એ તો ગોવાળો બન્‍યો, - ગોવાળો બન્‍યો

ઓ.. મારા લાલાને કોઇયે ના કપટી કહેશો..

પી. યુ. ઠક્કર

સાથે સાથે તાળી પડતી હોય, ભજનની લય સાથે શ્વસનમાં લયબધ્‍ધતા આવી ગઇ હોય, અને પ્રાણાયામ આપોઆપ થઇ ગયા હોય. તેથી મનની એકાગ્રતાની શક્તિ આપોઆપ અને સહજપણે કામે લાગી ગઇ હોય. આપણી એકાગ્રતાની ક્ષમતાને ઇશ્વર નામમાં એકાગ્ર કરવી, તે જ એકાગ્રતાનો શ્રેષ્‍ઠતમ્ ઉપયોગ છે. મનની એવી એકાગ્ર થયેલી ભૂમિકાએ ‘લાલા’ ને કોઇ કપટી કહે, એ કેટલે અંશે યોગ્‍ય કહેવાય; તે માટે લાલા માટે એક ભાવ જાગે, આપણે વિચારતા થઇ કે, આ દુનિયા તેને કપટી કહે તે કેવી રીતે બરાબર કહેવાય ? લાલા માટે કોમળ લાગણીઓ જન્‍મે. આપણાં વિચારો પ્રવૃત્ત થાય અને ભાવ જન્મે કે, લાલો તો સીધો સાદો બનીને ગોપ-ગોપીઓનો થઇ ગયો હતો. તે જ્ઞાની હોવા છતાં અબુધ ગોપ-ગોપીઓના વ્હાલને વશ થયો. લાલો માત્ર પ્રેમસ્વરૂપ જ હતો તેવું આપણને સમજાવા માંડે. અને લાલા માટે પ્રેમભાવ જાગવાની શરૂઆત થઇ શકે.

ભાવ ના જાણુ, ભક્તિ ન જાણુ, મા નવ જાણુ સેવા…’ એ શું છે ?

નવરાત્રિમાં માતાજીને સંબોધીને આરતી ગાઇએ છીએ કે ભાવ ના જાણુ, ભક્તિ ન જાણુ, મા નવ જાણુ સેવા…’ તે શું છે? આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે, હે મા મારામાં કોઇ ભાવ નથી. આપણે માતાને કહીએ છીએ કે, હે મા, મારામાં કશી ભક્તિ નથી. હે મા, મારા પર કૃપા કર. તો તે ભાવ અને ભક્તિ કેળવાય કેવી રીતે ? આપણે તે સમજવા પ્રયત્‍ન કરીએ. ભજનના શબ્‍દોના મનમાં ભાવ જાગવા દઇને, તાલ અને લય સાથે, તાળી પાડીને, સમૂહમાં બેઠેલા લોકો સાથે એકસૂર થઇને બધાની સાથે સાથે ભાવપૂર્ણ રીતે આપણે ભજન ગાઇએ ત્‍યારે આપણામાં ભાવ આપોઆપ કેળવાય.

ભજનથી રાગદ્વેષ છૂટવાની શરૂઆત થાય

આપણે જ્યારે સમૂહ સાથે એકરાગ અને એકસૂર થવાનું શીખીએ તો, આ જગતના બે-સૂરા જણાતા બધા રાગો સાથે પણ આપણને ધીમે ધીમે એકસૂર થવાનું આવડવા માંડશે. ભલેને પછી તે બધા રાગ આપણને ગમતા હોય કે, ના ગમતા હોય. જેમ જેમ મનની સચ્ચાઇ અને નિષ્‍ડા વધતી જશે તેમ તેમ આગળ જતા એક એવો તબક્કો આવશે કે, જ્યાં ધીમે ધીમે રાગ અને દ્વેષ નામના બે શબ્‍દો બે નહીં રહે. જેમ જેમ ભજનના શબ્દોના ભાવ મનમાં ધારણ થતા જશે તેમ તેમ; ઇશ્વર વિષયક બાબતોનો વધારો આપોઆપ થશે. ભજનમાં આપણી સાથે ગાનારા લોકો પ્રત્‍યેના ગમા-અણગમા આપોઆપ દૂર થવા માંડશે. અને ધીરે ધીરે, ભજન સિવાયના ક્ષેત્રના લોકો પ્રત્યેના ગમા-અણગમા પણ દૂર થતાં બધી વ્યક્તિઓ અને દરેક પરિસ્થિતીઓ

દુઃખી દુઃખી થઇ જતા લોકો

દુઃખી લોકોની એક જ સમસ્‍યા હોય છે કે, આ દુનિયા સાથે બરાબર મેળ નથી જામતો. તેમને લાગતું હોય છે કે, જીવવાની મઝા નથી આવતી. હવે, લોકોમાં પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. ઉપર ઉપરથી આપણને સાચી લાગતી આ વાત થોડીક છેતરામણી છે. આ વાત જૂઠ્ઠી છે અથવા હકીકતલક્ષી નથી; એવું આપણે કહેતા નથી. પણ સાથે સાથે, આ વાત સાચી લાગતી હોય તો પણ થોડી વિચારણા માંગી લે તેવી છે. અગાઉ પણ આપણને દુનિયા પ્રેમાળ લાગતી હતી, પરંતુ તે સમયે પણ તેના અગાઉના વખતની દુનિયા આપણને વધુ પ્રેમાળ લાગતી હતી. તેથી આપણને પ્રશ્ન થવો જોઇએ કે, તો શું આપણે સમય સાથે તાલ મીલાવવામાં કાયમ જ મોંડા પડીએ છીએ? શું આપણે વિદ્યમાન પ્રવાહ અને પરિસ્થિતી સાથે તાલ મીલાવવા માટે સક્ષમ નથી? આપણે વિચારવું જોઇએ કે, શું આપણે ક્યાંક ઉણા ઉતરતા તો નથી ને? જ્યારે આપણે ભજન-સત્સંગ થકી મોટા માનવસમૂહ સાથે હળવા-ભળવાનું શીખીશુ તો, આ બધુ ઠીક ઠાક થવાની શરૂઆત ભજન અને સત્સંગથી થાય.

ભજનથી પ્રાણાયામ થાય – ખાલીપો દૂર થાય

જેઓ પ્રાણાયામ કરતા હશે કે, પ્રાણાયામ શીખ્‍યા હશે તેમને ખબર હશે કે, મનને અને પ્રાણને બહુ નિસ્‍બત છે. મન અને પ્રાણ એકબીજા ઉપર આધારીત છે. મનની સ્થિતીની અસર આપણાં પ્રાણ ઉપર એટલે કે, શ્વાસોચ્‍છવાસ ઉપર પડતી હોય છે. અને એ જ રીતે આપણા શ્વાસોચ્‍છવાસની અસર આપણા મન અને વિચારો ઉપર પડતી હોય છે.

મન અને પ્રાણનો સંબંધ સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. આપણે શાંતિથી ચાલતા ચાલતા પસાર થતા હોઇએ અને એકાએક લઢતા બે કૂતરા ભાઉ ભાઉ કરતા અચાનાક આપણી પાસે આવી જાય તો આપણે એકદમ ગભરાઇ જઇએ કે, ક્રોધ અને હિંસાની જ્વાળામાં ફસાયેલા આ કૂતરા મને કરડી જશે તો? બસ. એક ક્ષણ કરતાં ય ઓછા સમયમાં આવેલો વિચાર કે, ‘કૂતરા મને કરડી જશે તો?’ ભય પ્રેરીત આ વિચારથી આપણું શ્વસનતંત્ર ખોરવાઇ જતું હોય છે. આપણે બે-પાંચ કિ.‍મી. દોડ્યા હોઇએ એટલો શ્વાસ ચઢી જતો હોય છે. ભયપ્રેરીત લાગણી થઇ આવતી હોય છે. કૂતરા કરડી જવાનો વિચાર તો એકદમ અધકચરો હોય છે. અને બસ એક ક્ષણ કરતા ય ઘણાં ઓછા સમયમાં આપણે રીતસરના હાંફી જઇએ છીએ, ધબકારા વધી જાય છે. પેટમાં ફાળ પડી જાય છે. અને રીતસરનો પરસેવો થઇ આવે છે. આપણું સમગ્ર ચેતનાતંત્ર વેર વિખેર થઇ જાય છે. મનમાં એક પ્રકારનો અજંપો વ્‍યાપી જાય છે. જે રીતે વિચારથી શ્વસનતંત્ર ખોરવાઇ જાય છે, તે જ રીતે શ્વસનતંત્ર મારફત વિચારોને સરખા કરી શકાય. એટલે કે, પ્રાણાયામ કરીને શ્વાસોચ્છવાસને લયબધ્ધ કરવામાં આવે તો, આપણું વિચારતંત્ર પણ વ્‍યવસ્થિત થાય. લયબધ્ધ શ્વસનથી આપણાં મનની સ્થિતી એકદમ શાંત અને વિકારો વગરની થઇ શકે. આવેગો અને પ્રવેગો નિયંત્રણમાં આવે. પ્રાણને લયબધ્ધ કરવાથી મનમાં પડેલી જન્મો જન્માંતરની ભય, હિંસા, ક્રોધ, નફરત, ધિક્કાર-ધૃણા, કામ, મદ, મોહ લોભ જેવી ટાળવા જેવી વૃત્તિઓ ઉપર કુદરતી રીતે જ કાબુ આવવા માંડે. પ્રાણાયામથી આપણાં લગણીતંત્ર અને ઉર્મિઓ ઉપર શાંતિરૂપી નિયંત્રણ આવે. એટલે જ કહેવાય છે કે, શાંતિ એ ઇશ્વરનો આકાર છે.

शांताकारं भूजगशयनं, पद्मनाभं सुरेशं,

विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् ।

लक्ष्‍मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं,

वंदे विष्‍णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥

મહાન ભક્તો સંતોના ચહેરા પર આપણને જે કાંતિ અને શાંતિ જોવા મળે છે તે આ જ શાંતિ હોય છે અને તેમના મનની આનંદમય સ્થિતીને કારણે એ કાંતિ અને શાંતિ આપણને જોવા મળે છે. તેવી કાંતિ અને શાંતિ દરેક વ્યક્તિને ભજનથી પ્રાપ્‍ત થઇ શકે.

ટૂંકમાં ભજનના સમૂહમાં ભળી જઇને શાંતિ રીતે ભજનમાં બેસીને હૃદયપૂર્વક ભજનના શબ્‍દોનો ભાવ મનમાં ધારણ કરીને ગાવામાં આવે તો ધીમે ધીમે સૂર, તાલ, લય, અને એકરાગીપણુ વગેરે જ્યારે સ્વાભાવિ ક્રમથી જળવાતું થાય ત્‍યારે, યાદ રાખો, ભજનની સાથે સાથે, પ્રાણાયામ પણ આપોઆપ જ થવા માંડશે. અને તે પણ સ્‍વાભાવિક રીતે જ. કશા પણ અઘરા પ્રયત્‍નો વગર જ. આનંદપૂર્વક. અને પ્રાણાયામ થવાની સાથે સાથે, આપણાં પ્રાણ ઉપર કાબુ આવતો જશે. પ્રાણ ઉપર કાબુ આવશે એટલે કુદરતી રીતે મન સ્થિર થવા માંડશે. મનનો અજંપો, કે જે મોટા ભાગે ભ્રામક હોય છે; તે દૂર થવા માંડશે. મન ભરાઇ જતાં ખાલીપો દૂર થવા માંડશે.

ભજનથી રાગદ્વેષ છૂટે આપણે એવી વાત આગળ કરી પણ કેવી રીતે તે વિષે વધારે વાત.

આપણે બધાએ મનુષ્‍ય દેહ ધારણ કર્યો તે પહેલાં આપણા પણ અનેક જન્‍મો થઇ ચૂક્યા છે. આપણને સીધો જ માનવ અવતાર મળ્યો નથી. માનવ દેહમાં જન્‍મ મળ્યો તે પહેલાં આપણો આત્‍મા ઉંદર, બિલાડી, કૂતરો, વાઘ, સિંહ, પોપટ, ચકલી, સાપ વગેરે જેવા અનેક શરીરોમાંથી પસાર થયેલો છે. પશુ-પક્ષી કે જીવજંતુના શરીરોના ધર્મ ભગવાને મર્યાદીત રાખ્‍યા છે. જેમ કે, ભૂખ લાગે ત્‍યારે તે ખાય. અને ઉંઘ આવે ત્‍યારે તે ઉંઘી જાય. કોઇ બનાવ કે ઘટના બને તો, તે કેમ બની? કોઇ બાબતમાં યોગ્યતા છે કે કેમ; એવું કશુ તે વિચારતા હોતા નથી.

માત્ર ખાવું-પીવું, શરીરને પોષણ આપવું. પોતાનું પોષણ કરવા માટે પોતાનાથી નાના જીવનું ભક્ષણ કરતા રહેવું. સાથે સાથે, પોતાનાથી મોટો જીવ પોતાનું ભક્ષણ કરી ના જાય તે માટે પોતાની જાતની સતત રક્ષા કરતા રહેવું. આમ બસ, ભક્ષણ અને રક્ષણ આટલા કાર્યોમાં જ પશુ-પક્ષીનું જીવન વિસ્‍તરીને અંત પામી જાય છે. એમના ધર્મો બહુ મર્યાદીત છે.

માનવ તરીકે જન્‍મ ધારણ કરતાં પહેલાં અનેક પશુ-પક્ષીના શરીરોના ધર્મો નિભાવીને પોતાનું પોષણ કરવા માટે નાના જીવોનું ભક્ષણ કરતા રહેવાને કારણે ક્રોધની ગ્રંથીઓ વિકાસ પામી હોય છે. એ જ રીતે પોતાનાથી મોટો જીવ ભક્ષણ કરી ના જાય તે માટે સતત સંઘર્ષ કરતા રહેવાને કારણે અને સ્‍વબચાવ કરતા રહેવાથી ભય અને ડરની ગ્રંથીઓ બળવત્તર થઇ હોય છે. આમ, ભક્ષણ કરતાં કરતાં ક્રોધની અને રક્ષણ કરતાં કરતાં ભયની ગ્રંથીઓ સારી એવી માત્રામાં વિકાસ પામેલી હોય છે.

અગાઉના કેટલાય જન્મોજન્‍માંતરથી ક્રોધભયની આવી ઉંડી ઉતરી ગયેલી ગ્રંથીઓ સાથે જ માનવદેહમાં આપણે બધાએ અવતાર લીધેલો છે. આપણને દુર્બળ બનાવતા ક્રોધ અને ભયના વિચારોના મૂળ અગાઉના જન્‍મોજન્‍માંતરના હોય છે. તે બધું માત્ર આ જન્‍મનું નથી હોતુ. કેટલાય જન્‍મોથી આપણા ચિત્તમાં વિકાસ પામીને ભય અને ક્રોધની ગ્રંથીઓ પડેલી હોય છે. આમ, ક્રોધ અને ભયની ગ્રંથીઓના મૂળીયા આપણી ચેતનામાં ખૂબ ઉંડા ઉતરી ગયેલા હોય છે. ટાળવાલાયક આવી ગ્રંથીઓ ખૂબ જ દૃઢ થયેલી હોવાથી તેના મૂળીયા જેવા તેવા હોતા નથી. એ જ રીતે, કામ અને વિષયોના મૂળીયા પણ ઉંડા હોય છે. આમ, આપણાં અંતર્ મનમાં પડેલી કામ ક્રોધ, મદ, લોભ અને ભય વગેરેની ગ્રંથીઓના પરીપ્રેક્ષ્‍યમાં સ્‍વાભાવિક રીતે માનવ તેની આજુબાજુ બનતી ઘટનાઓને સામાન્‍યપણે મુલવતો રહેતો હોય છે. જે માનવીને અજંપો આપે છે અને બેચેન બનાવે છે. અને તેથી જ કવિઓ કવિતા લખે છેઃ ‘‘इसी शहरमें हर शख्‍स परेशान सा क्युं है, सीनेमें जलन आंखोमें तूफान सा क्यों है ?’’ આમ, આપણે ચર્ચા કરી તેમ કંઇક જન્મો જન્માંતરો સુધી પશુ યોનીઓમાં જીવન જીવીને પછી માનવદેહમાં આવ્‍યા છીએ. એટલે આપણામાં કામ, ક્રોધ, ભય, વગેરે જેવા દોષો ઉંડે ઉંડે મનમાં ઘરબાયેલા હોય છે. આપણામાંના આ દોષોની ગ્રંથીઓ તેને અનુકૂળ સંજોગો અને તક મળતા આવી ગ્રંથીઓ આપણાં મન અને ઇન્દ્રીયોને સાધન બનાવી તેના મારફત તેનું કામ કરાવે છે.

આપણું લક્ષ્‍ય શું ? તેને કેવી રીતે પ્રાપ્‍ત કરી શકાય ?

આથી જ મનુષ્‍ય જીવનનું કોઇ લક્ષ્‍ય હોય તો, આવી દુર્બળ બનાવતી કામ, ક્રોધ, મોહ, ભય અને ડરની આવી વૃત્તિઓથી મુક્ત થવું તે જ એક પરમ લક્ષ્‍ય હોઇ શકે. અને માનવદેહમાં ભગવાને આપણને આ બધામાંથી મુક્ત થવા માટેની શક્યતાઓ પણ આપી છે. ટાળવાલાયક આવી ગ્રંથીઓનું રૂપાંતર ભક્તિ દ્વારા ઇશ્વર સ્નેહમાં કરવા માટેનું સચોટ અને સરળ સાધન ભક્તિ છે. માનવ ધારે તો, આવી ટાળવાલાયક ગ્રંથીઓ ઉપર વિજય મેળવીને માનવમાંથી દેવ થઇ શકે. તે ઇશ્વરને પ્‍યારો બની જ શકે. મીરા, નરસિંહ, તુકારામ, જલારામબાપા અને કંઇક ભક્તો આવી ગ્રંથીઓથી પર બનીને અને ઇશ્વરને પ્રેમ કરીને આ જગતમાં મહાન બની ગયા છે. તેઓએ જે કંઇ કર્યુ તે માત્ર આ જ છે. તે સિવાય બીજુ કશું નહી. આવા બધા સંતો મહાત્‍માઓએ કોઇ અસાધારણ અને કોઇ જટીલ કામો જીવનમાં ન્હોતા કર્યા. નિષ્‍ઠાપૂર્વક માત્ર સાચી ભક્તિ કેળવી. ભક્ત જલારામબાપાએ સૌ માનવમાં ઇશ્વર જોતાં. તે બધાને આવકારતા – હૃદયના સાચા પ્રેમથી. તે બધાનો સ્વીકાર કરતા. બધા પ્રત્‍યે એ જ પ્રેમ. આવો બાપલા આવો, જમ્યા વિના જતા નહીં.

કામ, ક્રોધની આવી વૃત્તિઓમાં માનવની ઘણી બધી શક્તિ ખર્ચાતી હોય છે. આ બધામાં શ‍ક્તિ ખર્ચાય નહીં તો માનવની ઘણી બધી શક્તિઓ બચવા પામે. બચેલી શક્તિ અયોગ્‍ય રીતે ખર્ચવામાં ના આવે અને હૃદય ભક્તિ દ્વારા થોડુ-ઘણું પણ કેળવાયુ હોય તો, કુદરતનું તંત્ર જ એવું છે કે, બચેલી તે શક્તિ આપોઆપ સર્જનાત્‍મક કાર્યમાં કામે લાગવા માંડે. બસ જરૂરી એટલું છે કે, વિવેકશક્તિનો ઉપયોગ કરીને આવી ટાળવાલાયક વૃત્તિઓ પર નિયંત્રણ લાવવું. તે માટે ભક્તિ થકી મન-હૃદયને ઇશ્વરને પ્રેમ કરવાની તાલીમ લેવા દેવી, ભક્તિની શરૂઆત કરવી.

જીવનો સ્‍વભાવ જ ચંચળ છે એટલે તે એકપણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને સચા ખોટા કર્મોમાં શક્તિ ખર્ચાય છે. જ્યારે શક્તિને અમુક કાર્યોમાં વહાવી દેવામાં આવે તો, અથવા માનવ સંયમ અને કાબુ વગરનો થઇને અથવા વિવેકહીન થઇને કે બહેકી જઇને પોતાની શક્તિઓને વહેવા દે તો, કર્મનો નિયમ એ રીતે ગતિમાં મૂકાઇ જાય અને તે ચોક્કસ પ્રકારના ખરાબ પરિણામોનું સર્જન કરે જ. આમ, આપણી શક્તિને કયા પ્રકારના કાર્યમાં કાર્યાન્વિત કરવામાં આવે છે; તે માટે સજાગતા અને સતર્કતા જરૂરી છે. આપણે એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી જ શકતા નથી તેથી કર્મ જ ઉભુ ન થવા દઇએ તે તો શક્ય બનવાનું નથી. પરંતુ, આપણે જે કરી શકીએ તે એ કે, ટાળવાલાયક ષડરીપુ, એટલે છ પ્રકારના દોષ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્‍સર જેવી વૃત્તિઓ કે ગ્રંથીઓમાં વહેવા માંડતી શક્તિને રોકવાના બદલે, તેનું રૂપાંતર તો આપણે કરી જ શકીએ. આ શક્તિ તો એક ધારા છે. માટે જ આપણે ભજન અને ભક્તિ દ્વારા અને વિવેક વડે આપણી બહાર દોડતી ચંચળ વૃત્તિઓને પાછી વાળીને હૃદયમાં કેન્દ્રીત કરવી જોઇએ. મનમાં ભક્તિના બી રોપવા જોઇએ. તે માટે સરળ અને સચોટ ઉપાય એક ભજન અને ભક્તિ છે.

ઉપાય

જે રીતે આપણને તીખુ લાગે તો, તીખાશ દૂર કરવા ગળ્યુ ખાઇએ એ જ રીતે, ષડરીપુથી ઉભા થતા કર્મોને નિયંત્રિત કરવા માટે, ષડરીપુમાં વપરાતી શક્તિનું રૂપાંતર કરવા માટે, હૃદયમાં પ્રેમ અને કરૂણાના ભાવ જગાવવા જોઇએ. સર્વ માટે પ્રેમ અને કરૂણા હૃદય-મનમાં પ્રગટ થવા જોઇએ. બધા માટે બિનસ્‍વાર્થી સ્‍નેહ વહેતો થાય એવું કરવું જોઇએ. અકારણ જ બધા પ્રત્‍યે માત્ર સ્‍નેહ. શ્રધ્ધાપૂર્ણ રીતે બધા ઉપર સ્‍નેહ વહાવવામાં આવે તો, જન્મોજન્માંતારથી આપણાંમાં પડેલા ષડરીપુના દોષમા ખર્ચાતી શક્તિનું રૂપાંતર થઇ તે જ શક્તિ બિનશરતી અને શુધ્ધ પ્રેમમાં પરીણમે. જે ભાવ, ભક્તિ અને શ્રધ્ધા ભજન દ્વારા કેળવી શકાય. એટલે તો તુલસીદાસે કહ્યું છે કે, કલિયુગ કેવલ નામ આધારા. આપણે ભક્તિ દ્વારા આપણાં અ-જાગૃત મનને સતેજ બનાવીને ક્રોધ, ડર, હિંસાની ગ્રંથીઓને તોડીને તેને શુધ્ધ સ્‍નેહમાં રૂપાંતર કરવી; તે જ એક ઉમદા લક્ષ્‍ય આપણાં જીવનનું હોઇ શકે. ઇશ્વર પ્રત્‍યેના આપણાં સમર્પણરૂપી ભક્તિ-જળથી સિંચન કરીને આપણાં શ્રધ્ધારૂપી પુષ્‍પો ખીલવવાના છે. એ પુષ્‍પો ખીલવીને તે પવિત્ર ફૂલો ઇશ્વરને અર્પણ કરવાના છે. ગીતામાં ‘‘ભગવાન શ્રી કૃષ્‍ણને કોણ સૌથી વ્હાલા છે?’’ એવા અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા ભગવાને કહ્યું છે કે, યોગીઓમાં, જ્ઞાનીઓમાં અને ધ્‍યાનીઓ એ બધામાં અનન્ય ભાવથી મારૂ ભજન કરનારા મને સૌથી પ્રિય છે. એટલે આપણે ભોળા ભાવે ભજન કરવું; એ જ આપણે બધાએ લક્ષ્‍ય બનાવ્‍યું છે.

જ્યારે ભગવાને પોતે જ ગીતામાં કહેલું છે કે, અનન્‍ય ભાવથી મારૂ ભજન કરનારા મને સૌથી વધારે પ્રિય છે, તો પછી ભક્તિ કે ભજન માટે છોછ કેવો?

ગીતામાં સ્‍વયં ભગવાને પોતે જ ભક્તિયોગ વિષે આખો બારમો અધ્‍યાય અર્જુનને કહી સંભળાવ્‍યો છે. ત્‍યારે ભજન શા માટે જરૂરી છે; તે વિષે વિશેષ કંઇ કહેવાનું રહે નહીં.

આવો, આપણે લાલાના ગુણગાન ગાઇએ. તેની ભક્તિમાં ડૂબી જઇએ. ભજનના શબ્‍દોને સાંભળીને તે પ્રમાણેના ભાવ મનમાં જાગવા દઇએ. ભજનના તાલ સાથે એકતાલ થઇને એને ભજનના રાગ સાથે એકરાગ થઇને આ બધા સમૂહ સાથે ભજનના માધ્યમથી, કોઇ પણ વાંધા વચકા વગર, લાલાને આપણી સાથે રાખીને, આપણે એક મોટા સમૂહ સાથે પ્રેમથી ભળી જઇએ. અને જોઇએ કે, આ સમૂહમાં આપણને કેવો આનંદ આવે છે!!

- પી. યુ. ઠક્કર

*************************************

આવો, આપણે ભગવાન માટે કેડ કસીએ.

આપણા ચિત્તને ચોખ્ખું કરીને, તેમાં ભક્તિરૂપી ફૂલો પાથરીને, લાલાને બોલાવીએ.

લાલા માટે પ્રેમનું પડીકુ ખોલીએ.

ભક્તિની જ્યોત હૃદયમાં પ્રગટાવીને, તેના પ્રકાશમાં આ જગતને નીરખી જોઇએ.

રાગ અને દ્વેષ શુધ્ધ પ્રેમમાં પલટાય ત્યાં સુધી પ્રયત્‍નશીલ રહીએ. જેથી ઇર્ષાનો ભાર ન રહેતાં સર્વત્ર આનંદ આનંદને આનંદ જ વ્યાપે.

——-

2 Comments

  1. August 11, 2009 at 6:39 pm

    Very nice article. Happy to read it.

  2. Rajani Tank said,

    November 12, 2009 at 1:26 pm

    પ્રવીણભાઈ,
    વાંચીને ખરેખર આનંદ થયો.
    મને ભજન ખુબ જ ગમે છે.
    ઘણુ નવુ જાણવા મળ્યુ.
    ભજનના સંદર્ભમાં નવુ કઈપણ લખો તો મને ઈ-મેલ જરુર કરજો.

    rajani@savewildlife.com


Post a Comment