એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની પાસેથી આપણને સારા સમાચાર મળશે, કોઇક સારા માણસો મળશે જ. આમ, આપણાં રખડતાં ભટકતાં વિચારોમાં ક્યાંક ને ક્યાંક તો પાછો પેલો આશાનો તંતુ તો છૂપાયેલો હોય જ છે; જે જીવનને જકડી અને સાંકળી રાખે છે. આશા ગુમાવી ન દેવા માટેની શક્તિ આપણામાં છે જ; જે બદલ આપણે ઇશ્વરના આભારી જ છીએ. ગમે તેવા સંજોગો કેમ ના હોય, નવેસરથી શરૂઆત થઇ જ શકે. ભલે ને પછી તે ધંધાકીય વર્તુળ હોય, નોકરીનું સ્થળ હોય, સગા-વ્હાલાનો અને જ્ઞાતિજનોનો સમૂહ હોય, અડોશ-પડોશ હોય કે પછી અંગત મિત્રો હોય.
એક આધ્યાત્મિક લેખક Neale Donald Walsch કહે છે,
“It is not God’s function to create and uncreate circumstances in your life. God created you, in the image and likeness of God. You created the rest.”
‘‘આપણા જીવનમાં સંજોગોનું સર્જન કરવું અને સંજોગોને દૂર કરવા, તે ઇશ્વરનું કાર્ય નથી. ઇશ્વરે તો માત્ર આપણને સર્જ્યા છે; તેમની પોતાની પ્રતિકૃતિરૂપે અને ઘણાં ઇશ્વરીય ગુણો સાથે; ઇશ્વરની પોતાની જેમ જ !! બાકીનું બધું તો આપણે પોતે જ સર્જન કરેલું છે.’’
તેથી ગમે તે કારણોસર નિરાશા અને નકારાત્મકતામાં ફસાઇ ગયા હોઇએ તો, ચોક્કસપણે હકારાત્મકતા અને સારા કૃત્યો દ્વારા તેના ઉપર વિજય પ્રાપ્ત કરી જ શકાય, નવેસરથી શરૂઆત કરીને. નવેસરથી શરૂઆત કરવામાં કદી પણ મોંડુ નથી હોતુ. જાગ્યા ત્યાંથી સવાર.
આવો, નવી શુભેચ્છાઓ, આપણે આપણને પોતાને જ અર્પણ કરીએ… હે પ્રભુ, અમને સમગ્ર વિશ્વમાંથી સારા વિચારો પ્રાપ્ત થાઓ. અમને નવી આશા અને નવી ચેતના પ્રદાન કરો.
સુબહ હિન્દી ફિલ્મના એક ગીતના શબ્દો…
નામ ના જાને, કામ ના જાને,
જાને ન સેવા પુજા,
જાને બસ ઇતના, અજાન હમ,
એક નામ, નહીં દુજા,
નહીં દુજા, તુમ આશા વિશ્વાસ હમારે,
એટલી જ ખબર છે કે, અમે અજાણ અને અજ્ઞાની છીએ. કેટલી સરળતા ! ‘અમે બધુ જ જાણીએ છીએ’ – નો કોઇ દંભ નહીં. પ્રભાવ પાડવાનો કોઇ પ્રયત્ન નહી. નરી નમ્રતા. નામ કે કામની કોઇ જ ખબર નથી. સેવા પૂજા શું છે તેની પણ ખબર નથી. માત્ર એક જ ખબર છે, બસ હરીનામ. બીજુ કંઇ જ નહીં. જ્યારે હરીનામ જ લેવાતું હોય તો, મન વિચારોની જાદુઇ કાપડરૂપી ગૂંથણી કરે જ નહીં. કોઇ પ્રપંચ કે કાવાદાવા પણ નહીં. જાને તો બસ ઇતના, અજાન હમ, એક નામ નહીં દૂજા.
તુમ ધરતી, આકાશ હમારે,
તુમ ધરતી, આકાશ હમારે રામા..
તુમ આશા વિશ્વાસ હમારે
હે પ્રભુ, અમે ગ્રાઉન્ડ રીયાલીટીમાં રહીએ કે, આકાશમાં ઉંચે ઉડીએ, પણ હે પ્રભુ, અમારા માટે ધરતી અને આકાશ એ બંને આપ જ છો. જ્યારે પ્રભુ જ સર્વસ્વ હોય તો, માનવી હવાઇ કિલ્લા બાંધીને પછી પડવા માટે ઉંચે આકાશમાં ચઢે જ શી રીતે ? હે પ્રભુ અમારા માટે તો આપ જ સર્વસ્વ છો.
ભાત ભાત તુમ, બંધુ ભ્રાત હો..
દિવસ રાત્રી, સંધ્યા પ્રકાશ હો.
દીપક, સૂર્ય, ચંદ્ર, તારકમેં રામા
તુમ હી જ્યોતિ, પ્રકાશ હમારે રામા
તુમ આશા વિશ્વાસ હમારે
હે પ્રભુ, તમે જ અમારા માટે રાત્રિ, સંધ્યા, પ્રકાશ બધુ છો. પ્રજ્વલિત જ્યોતમાં, સૂર્યમાં, ચંદ્રમાની શીતળ ચાંદનીમાં, અને ટીમ ટીમ થતાં તારાઓમાં વ્યાપક હે પ્રકાશ તત્વ પ્રભુ, એ આપ જ છો. હે પ્રભુ, આપ ભાત ભાતના અને જાત જાતનો લાગો છો. અમારા ભાઇ સમાન હૂંફ અને રક્ષણ આપનાર પણ આપ જ છો.
સાઁસોમેં તૂમ આતે જાતે,
એક તૂમ હી સે હૈ સબ નાતે,
જીવનવનકે હર પતઝડમેં…રામા
એક હી તૂમ્હી, મધુમાસ હમારે રામા
તુમ આશા વિશ્વાસ હમારે
હે પ્રભુ, જીવનમાં એક માત્ર તમારો જ નાતો છે. શ્વાસ-ઉચ્છવાસમાં અવર-જવર કરતો પ્રાણ પણ પ્રભુ આપ જ છો. જીવનના કપરા સમયમાં હે પ્રભુ આપ જ એક અમારા ઉધ્ધારક છો જે અમને મધુમાસ સમાન લાગો છો.
તૂમ હી સબમેં, હૈ તૂમમેં સબ…
તૂમ હી સબ હો, હો તૂમ હી રબ
અશ્રુ હમારી, આંખોમેં તૂમ… રામા
તૂમ હોઠો પર, આશ હમારી રામા
તૂમ આશા વિશ્વાસ હમારે (ર)
રામા હમારે, દાતા હમારે…
તૂમ આશા, વિશ્વાસ હમારે
અમારી આંખોમાં આંસુ હોય ત્યારે પણ અમારા હોઠ ઉપર આશારૂપી તમારૂ જ ગાન હશે. કારણ કે, આ સમગ્ર જગત આપનામાં જ સમાવિષ્ટ છે. અરે આ જગત અને સઘળુ હે પ્રભુ, આપ જ છો. હે પ્રભુ, અમારી આશા અને વિશ્વાસ આપ જ છો. અમને એવી પાકી આશા છે કે, હે પ્રભુ જે કંઇ બને છે તે આપની ઇચ્છા મુજબ જ થાય છે.
કૃષ્ણ નામક તત્વનો જય હો.
– પી. યુ. ઠક્કર