તુમ આશા વિશ્વાસ હમારે..

        એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્‍ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની પાસેથી આપણને સારા સમાચાર મળશે, કોઇક સારા માણસો મળશે જ. આમ, આપણાં રખડતાં ભટકતાં વિચારોમાં ક્યાંક ને ક્યાંક તો પાછો પેલો આશાનો તંતુ તો છૂપાયેલો હોય જ છે; જે જીવનને જકડી અને સાંકળી રાખે છે. આશા ગુમાવી ન દેવા માટેની શક્તિ આપણામાં છે જ; જે બદલ આપણે ઇશ્વરના આભારી જ છીએ. ગમે તેવા સંજોગો કેમ ના હોય, નવેસરથી શરૂઆત થઇ જ શકે. ભલે ને પછી તે ધંધાકીય વર્તુળ હોય, નોકરીનું સ્થળ હોય, સગા-વ્હાલાનો અને જ્ઞાતિજનોનો સમૂહ હોય, અડોશ-પડોશ હોય કે પછી અંગત મિત્રો હોય.

       એક આધ્યાત્મિક લેખક Neale Donald Walsch કહે છે,

 

“It is not God’s function to create and uncreate circumstances in your life. God created you, in the image and likeness of God. You created the rest.”

 

‘‘આપણા જીવનમાં સંજોગોનું સર્જન કરવું અને સંજોગોને દૂર કરવા, તે ઇશ્વરનું કાર્ય નથી. ઇશ્વરે તો માત્ર આપણને સર્જ્યા છે; તેમની પોતાની પ્રતિકૃતિરૂપે અને ઘણાં ઇશ્વરીય ગુણો સાથે; ઇશ્વરની પોતાની જેમ જ !! બાકીનું બધું તો આપણે પોતે જ સર્જન કરેલું છે.’’

 

        તેથી ગમે તે કારણોસર નિરાશા અને નકારાત્મકતામાં ફસાઇ ગયા હોઇએ તો, ચોક્કસપણે હકારાત્મકતા અને સારા કૃત્યો દ્વારા તેના ઉપર વિજય પ્રાપ્‍ત કરી જ શકાય, નવેસરથી શરૂઆત કરીને. નવેસરથી શરૂઆત કરવામાં કદી પણ મોંડુ નથી હોતુ. જાગ્યા ત્યાંથી સવાર.

 

        આવો, નવી શુભેચ્છાઓ, આપણે આપણને પોતાને જ અર્પણ કરીએ… હે પ્રભુ, અમને સમગ્ર વિશ્વમાંથી સારા વિચારો પ્રાપ્‍ત થાઓ. અમને નવી આશા અને નવી ચેતના પ્રદાન કરો.

સુબહ હિન્‍દી ફિલ્મના એક ગીતના શબ્‍દો…


નામ ના જાને, કામ ના જાને,

જાને ન સેવા પુજા,

જાને બસ ઇતના, અજાન હમ,

એક નામ, નહીં દુજા,

નહીં દુજા, તુમ આશા વિશ્વાસ હમારે,

 

        એટલી જ ખબર છે કે, અમે અજાણ અને અજ્ઞાની છીએ. કેટલી સરળતા ! ‘અમે બધુ જ જાણીએ છીએ’ – નો કોઇ દંભ નહીં. પ્રભાવ પાડવાનો કોઇ પ્રયત્‍ન નહી. નરી નમ્રતા. નામ કે કામની કોઇ જ ખબર નથી. સેવા પૂજા શું છે તેની પણ ખબર નથી. માત્ર એક જ ખબર છે, બસ હરીનામ. બીજુ કંઇ જ નહીં. જ્યારે હરીનામ જ લેવાતું હોય તો, મન વિચારોની જાદુઇ કાપડરૂપી ગૂંથણી કરે જ નહીં. કોઇ પ્રપંચ કે કાવાદાવા પણ નહીં. જાને તો બસ ઇતના, અજાન હમ, એક નામ નહીં દૂજા.

તુમ ધરતી, આકાશ હમારે,

તુમ ધરતી, આકાશ હમારે રામા..

તુમ આશા વિશ્વાસ હમારે

 

        હે પ્રભુ, અમે ગ્રાઉન્‍ડ રીયાલીટીમાં રહીએ કે, આકાશમાં ઉંચે ઉડીએ, પણ હે પ્રભુ, અમારા માટે ધરતી અને આકાશ એ બંને આપ જ છો. જ્યારે પ્રભુ જ સર્વસ્વ હોય તો, માનવી હવાઇ કિલ્લા બાંધીને પછી પડવા માટે ઉંચે આકાશમાં ચઢે જ શી રીતે ? હે પ્રભુ અમારા માટે તો આપ જ સર્વસ્વ છો.

ભાત ભાત તુમ, બંધુ ભ્રાત હો..

દિવસ રાત્રી, સંધ્‍યા પ્રકાશ હો.

દીપક, સૂર્ય, ચંદ્ર, તારકમેં રામા

તુમ હી જ્યોતિ, પ્રકાશ હમારે રામા

તુમ આશા વિશ્વાસ હમારે

 

        હે પ્રભુ, તમે જ અમારા માટે રાત્રિ, સંધ્યા, પ્રકાશ બધુ છો. પ્રજ્વલિત જ્યોતમાં, સૂર્યમાં, ચંદ્રમાની શીતળ ચાંદનીમાં, અને ટીમ ટીમ થતાં તારાઓમાં વ્યાપક હે પ્રકાશ તત્વ પ્રભુ, એ આપ જ છો. હે પ્રભુ, આપ ભાત ભાતના અને જાત જાતનો લાગો છો. અમારા ભાઇ સમાન હૂંફ અને રક્ષણ આપનાર પણ આપ જ છો.

 

સાઁસોમેં તૂમ આતે જાતે,

એક તૂમ હી સે હૈ સબ નાતે,

જીવનવનકે હર પતઝડમેં…રામા

એક હી તૂમ્હી, મધુમાસ હમારે રામા

તુમ આશા વિશ્વાસ હમારે

 

        હે પ્રભુ, જીવનમાં એક માત્ર તમારો જ નાતો છે. શ્વાસ-ઉચ્‍છવાસમાં અવર-જવર કરતો પ્રાણ પણ પ્રભુ આપ જ છો. જીવનના કપરા સમયમાં હે પ્રભુ આપ જ એક અમારા ઉધ્‍ધારક છો જે અમને મધુમાસ સમાન લાગો છો.

 

તૂમ હી સબમેં, હૈ તૂમમેં સબ…

તૂમ હી સબ હો, હો તૂમ હી રબ

અશ્રુ હમારી, આંખોમેં તૂમ… રામા

તૂમ હોઠો પર, આશ હમારી રામા

તૂમ આશા વિશ્વાસ હમારે (ર)

રામા હમારે, દાતા હમારે…

તૂમ આશા, વિશ્વાસ હમારે

 

        અમારી આંખોમાં આંસુ હોય ત્‍યારે પણ અમારા હોઠ ઉપર આશારૂપી તમારૂ જ ગાન હશે. કારણ કે, આ સમગ્ર જગત આપનામાં જ સમાવિષ્‍ટ છે. અરે આ જગત અને સઘળુ હે પ્રભુ, આપ જ છો. હે પ્રભુ, અમારી આશા અને વિશ્વાસ આપ જ છો. અમને એવી પાકી આશા છે કે, હે પ્રભુ જે કંઇ બને છે તે આપની ઇચ્છા મુજબ જ થાય છે.

 

કૃષ્‍ણ નામક તત્વનો જય હો.

– પી. યુ. ઠક્કર

મારો ‘લાલો’ એવો છે…

મારો લાલો એવો છે, એ સૌનો વ્‍હાલો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે

 

એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.

એની આંખોમાં મસ્‍તી, એના હાસ્‍યમાં છે તોફાન.

એનું નામ જ કૃષ્‍ણ છે, એ કર્તા હર્તા છે,

રંગે એ શામળીયો, તો પણ એ રૂપાળો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

માટી એ ખાતો ’તો, બળદાઉએ પકડ્યો ’તો.

પકડાઇ ન જાનારો, પકડાઇ ગયો ત્‍યારે,

માતાને કહી દીધું, માટી નથી ખાધી મેં,

કાંડુ એનું પકડી’ મુખ માતાએ દીઠું,

ચાલાક ચતુર એવો, બ્રહ્માંડ બતાવ્‍યું ’તું,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

 

મામાને માર્યા ’તા, માસીને પણ મારી.

નાગ કાળીને તાર્યો, દૈત્યોને સંહાર્યા ’તા.

ગોપી સુધાના સ્‍નેહે, ઉપનંદનું રુપ લીધું,

મારા લાલાને પૂજી, ગોપીએ હોળી પૂજી,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

જે કોઇ મને ભજશે, તેને હું શોધી લઇશ.

વચને એ બંધાયો, મારો લાલો બેલી છે.

ક્યારે કેવા સ્‍વરુપે મળશે, એ એની માયા છે,

પણ જરુર જરુર મળશે, મારો લાલો એવો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

એ જગન્નીયંતા છે, હરી ભક્તોનો એ દાસ.

આંધી પવનમાં એ, જ્વાળાઓમાં પણ એ.

કણ કણમાં એનો વાસ, સૌના હૃદયમાં એ,

ગોપી મંડળના ભજને, ‘મીના’ ના હૃદયમાં એ,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

 

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે.

મારો લાલો એવો છે, એ સૌનો વ્‍હાલો છે.

– પી. યુ. ઠક્કર
 

 

લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના

(એક ગઝલ)

 

લાલાની ભક્તિમાં ડૂબીને,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

ખુમારી એવી આવશે,

ખુમારી એવી આવશે,

દ્વેષ અને રાગ તો છૂટવાના,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

દરગુજર કરવા લાગશો અને,

પ્રેમ પણ ફેલાવશો,

માફ બધાને કરી દેશો,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

આનંદ અને મસ્‍તીથી ઝૂમવાના,

ડંખ જૂના સૌ ભૂલીને,

મૃત્‍યુથી નહીં તમે ડરવાના, 

દ્વેષ અને રાગ તો છુટવાના,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છુટવાના.

 

શાંતિરૂપી ગંગા પામીને,

ડૂબકીઓ એમાં લગાવજો,

મસ્‍તીમાં એની ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના.

 

રાગ અને દ્વેષો અકળાવે,

ને દુઃખના દરીયે ડૂબી જાવ,

લાલાના ભજનો ગાઇને,

દ્વેષ અને રાગ તો છૂટવાના,

લાલાની ભક્તિમાં ડૂબીને,

દ્વેષ અને રાગ તો છૂટવાના,

લાલાની ભક્તિમા ડૂબીને,

પાવન તમે તો થઇ જાશો.

– પી. યુ. ઠક્કર

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે…

(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના…)

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે,

હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા

હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્‍યો,

એ રે ઝૂલામાં તને હેતે રે ઝૂલાવું.

ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,

ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના.

ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે,

એના પ્રકાશે હું જગતને જોઉં,

રાગ ’ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,

દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.

હૃદયસિંહાસન પર લાલાની સવારી,

હૈયે છે હેત ને મનમાં છે આનંદ.

મનમાં છે આનંદ ને હૈયે છે હેત,

મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,

ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે

ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,

લાગે છે કેવો એ રૂડો ’ને રૂપાળો.

જશોદાનો જાયો કેવો સૌનો એ પ્‍યારો,

ગોપીઓનો પ્‍યારો એ તો ભક્તોનો વ્‍હાલો.

હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્‍યા,

કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે.

- પી. યુ. ઠક્કર

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં…

જીંદગીએ કરી નરી બેવફાઇ,

હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !

નફરત ને ધિક્કારને

પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !

 

કંઇક શબ્‍દોના ખોટા અર્થઘટને

જીવનના સંબંધો બગાડ્યા,

હે મૃત્‍યુ, તું તો સુધારી દે,

આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !

 

પરીક્ષાની આગલી રાત્રિએ જ

ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,

તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં

સ્‍નેહના પગરણ માંડ્યા !

 

જીંદગી ફરી મળે તો,

પ્‍યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,

ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,

આપ ઘડી બે-ઘડી, હે મૃત્‍યુ !

 

હે મૃત્‍યુ, થોડું તો થોભી જા,

તું તો ના કર બેવફાઇ,

તું ક્યા જીંદગી છે ? હે મૃત્‍યુ,

તને વ્‍હાલ કરી લઉં,

નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં !!

- પી. યુ. ઠક્કર

ઇશ્વર પ્રવેશે છે. . .

સ્નેહના આ સાગરમાં,

ઇશ્વર પ્રત્‍યેની શ્રધ્‍ધાના,

અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.

શ્રધ્‍ધાના અમારાં દીવડાઓમાંથી

નીકળતા કિરણોમાં જોયું તો,

અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,

આયાસ વિના જ તરી રહ્યા હતા,

એક આનંદ સાગરમાં…

આનંદ સાગરના આ નવા અનુભવથી

રોમાંચિત થયું રોમે-રોમ,

ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,

વૃક્ષો, રસ્‍તાઓ, ગગન, સાગર અને સર્વે

મંદ મંદ મુસ્‍કરાતા લાગ્‍યા,

એ સઘળામાંથી પ્રાપ્‍ત શાંતિના ઇશ્વરમાં,

અભિન્‍ન લાગ્‍યા,

દીપક, કિરણો, શ્રધ્‍ધા, સ્‍નેહ, સાગર અને સઘળા.

કદાચ આ એ જ દ્વાર છે,

જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે

- પી. યુ. ઠક્કર